Banaskantha: શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળો શરૂ થઈ ગયો છે. જગતજનની મા અંબેના ભક્તોનો અવિરત પ્રવાહ દર્શનાર્થે ઊમટી રહ્યો છે. આ મેળાના વ્યવસ્થાપન માટે આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા કલેક્ટર દ્વારા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વ્યાપક સુવિધાઓ કરવામાં આવી છે. મેળામાં સઘન સુરક્ષા માટે પોલીસ વિભાગનો 6500 જેટલો સ્ટાફ તૈનાત છે ડીસાના એક ભાઈ દ્વારા પોલીસ વિભાગના કર્મીઓ માટે અનોખી સેવા કરવામાં આવી રહી છે.
અનોખી સેવાને નાયબ પોલીસ અધિક્ષકે પણ બિરદાવી
આમ તો, રાત દિવસ ખડેપગે પોલીસ જવાનો માટે વહીવટી તંત્ર દ્વારા કુલ 5 જગ્યાએ ભોજન વ્યવસ્થા કરવામાં આવી છે, પણ ડીસાના પોપટભાઈ ન. માળી દ્વારા રોજ પોલીસકર્મીઓને ભોજનમાં મિષ્ટાન આપવામાં આવે છે. તેમની આ સેવાને નાયબ પોલીસ અધિક્ષક દ્વારા પણ બિરદાવવામાં આવી હતી.
મેળા દરમિયાન દરરોજ 6500 પોલીસકર્મીઓને ભોજનમાં મિષ્ટાન
નાયબ પોલીસ અધિક્ષક એમ. બી. વ્યાસે જણાવ્યું હતું કે, અંબાજી ભાદરવી પૂનમનો મેળો તા. 23 થી 29 સપ્ટેમ્બર દરમિયાન યોજાઈ રહ્યો છે, ત્યારે કલેકટર સાહેબના માર્ગદર્શન હેઠળ તંત્ર દ્વારા પોલીસ સ્ટાફ માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. ડીસાના સમાજસેવક સેવાભાવી પી. એન. માળી દ્વારા દરરોજ 6500 પોલીસકર્મીઓને સાંજના ભોજનમાં અલગ અલગ પ્રકારના સ્વીટ આપવામાં આવે છે.
દિવ્યાંગજનો અને સિનિયર સિટીઝન માટે મફત રિક્ષા સેવા
આ ઉપરાંત તેમના દ્વારા જિલ્લા વહીલટી તંત્રના સંકલનમાં રહી અંબાજીના ભાદરવી પૂનમના મેળામાં સિનિયર સિટીઝન અને દિવ્યાંગજનો માટે પાર્કિંગથી મંદિર સુધી મફત રિક્ષા સેવા પણ શરૂ કરવામાં આવી છે, જેનો યાત્રિકો ખૂબ મોટી સંખ્યામાં લાભ લઈ રહ્યા છે.
150 જેટલાં યુનિફોર્મધારકો પણ આપી રહ્યા છે સેવા
આ સેવાકાર્યમાં તેમના પુત્ર અક્ષય માળી પણ તેમનો સાથ આપી રહ્યો છે. સેવાના કાર્યમાં પોપટભાઈ માળી સાથે 150 જેટલાં યુનિફોર્મધારી રિક્ષાચાલકો સેવા આપી રહ્યા છે. દૈનિક 1000 રૂપિયાનું મહેનતાણું પણ આ રિક્ષાચાલકોને આપવામાં આવે છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર